જે ગુરુ શિષ્યોની ઈચ્છાને અનુસરે છે અને દંભ કરે છે તે ધૂર્ત છે

06:31 Theo 0 Comments



અધ્યાત્મનું જગત જેટલું સીધું સરળ એટલું જ રહસ્યમય પણ છે. બાહ્ય જગતના તોલમાપ અને મૂલ્યાંકનો અધ્યાત્મના જગતમાં કામ લાગતા નથી. એમાંય ગુરુ શિષ્યના સંબંધો અને સદ્ગુરુની કાર્યપદ્ધતિ સામાન્ય લોકો માટે ઘણીવાર બેબૂઝ જેવી બની જતી હોય છે. ગુરુ પાસે અનેક લોકો આવતા હોય છે. એમાંથી કેટલાક માત્ર કૂતુહલના કારણે, આશ્રમમાં શું ચાલે છે, એ જોવા માટે કે ધ્યાન અને જ્ઞાાન મળી જશે તો પોતાની પણ જગતમાં બોલબાલા થશે એવા લોભના કારણે જ આવતા હોય છે. ધ્યાન કરવાથી સ્વર્ગીય સુખ મળશે, અનેક લોકો પોતાના ચરણમાં નમશે, સમાધિ પછી અદ્ભુત સિદ્ધિઓ મળી જશે અને એ મળ્યા પછી પોતે જે ઈચ્છે તે કરી શકશે, આવાં બધાં પ્રલોભનો પણ અધ્યાત્મની યાત્રા પાછળ કામ કરતાં હોય છે. આથી ગુરુ આવા દંભી લોભી લોકો પર કામ કરીને પોતાનો સમય બરબાદ કરવાનું ઘણીવાર ટાળે છે અને આથી સાચી પ્યાસ, શોધ માટેની તીવ્રતા અને સમગ્રતા હોય એવા જ શિષ્યો પર કામ કરવાના હેતુથી ખોટા લોકો એમની પાસે આવે જ નહીં અને આવે એમાંથી પણ કાચાપોચા ચાલ્યા જાય એ માટે પોતાની જીવનશૈલી દ્વારા, સમજમાં ન આવે એવી કાર્યપદ્ધતિ દ્વારા અને શિષ્યના અહંકાર પર ચોટ પડે એવી વર્તણુક દ્વારા, ખ્યાલમાં પણ ન આવે એ રીતે કેટલાક લોકોને ભગાડી મૂકતા હોય છે.
સદ્ગુરુની કરુણા કલ્પનામાં ન આવે એટલી ઊંડી અને અગાધ હોય છે. એ કરુણાના કારણે જ ક્યારેક પોતાની બદનામી થાય, એવી કાર્યશૈલી પણ એ અપનાવતા હોય છે, જેથી બાહ્ય મૂલ્યાંકનો અને પોતાના સંકુચિત દ્રષ્ટિકોણ લઈને આવેલા લોકો આપમેળે જ દૂર હટી જાય. આ રીતે દૂર હટાવીને કોઈને નુકસાન પહોંચાડવાનો એમનો આશય નથી હોતો પણ એવા લોકો 'ન ઘરના ન ઘાટના' એ રીતે, કે... 'બાવાના બેય બગડયા' એ રીતે જીવીને જિંદગી બરબાદ કરતા હોય છે. સદ્ગુરુને જે સમજે છે તેના માટે તો એમની હરકોઈ ક્રિયા પાછળ કેવળ કરુણા જ હોય છે. માથા પર ડંડો મારીને લોહીલુહાણ કરી નાખે તો પણ સાચો શિષ્ય ગુરુના ચરણ પકડીને આભારના ભાવ સાથે નમી પડતો હોય છે. સાચી શ્રદ્ધા સિવાય ગુરુ સાથેનો સંબંધ શક્ય જ નથી.
ખોટા ગુરુની પસંદગી કરીને પોતાનું જીવન બરબાદ કરનાર લોકોનો તો આ જગતમાં કોઈ પાર નથી. એમ સાચા ગુરુને પ્રાપ્ત કરી પોતાની આંખો બંધ રાખી એમની આંગળી પકડીને ચાલનારા લોકો ભલે ઓછા પણ હોય તો છે જ. સોમાંથી માત્ર પાંચ શિષ્યો પર કામ કરી શકાય એ માટે ગુરુને કેટલાય 'ખેલ' કરવા પડતા હોય છે અને એ પાંચને ખાતર પોતાની બદનામી થાય એવા નાટક પણ એ ભજવી લેતા હોય છે. કેમકે આવા સમાધિસ્થ સદ્ગુરુ માટે લોકોનો આદર કે અનાદર, લોકોની પ્રશંસા કે ફિટકારની ભાવના બધું સરખું જ હોય છે. સદ્ગુરુના આ ખેલને, આટલી ઊંડી કરુણાને અને એમના બાહ્ય બુરખાઓની પાછળ રહેલા દિવ્ય સ્વરૃપને જે સમજી શકે છે તે જ શિષ્ય કહેવડાવવાને લાયક છે.
અધ્યાત્મના જગતમાં અનેક સદ્ગુરુ થયા છે. સૂફી સંત જુન્નેદ પણ આવા જ એક સદ્ગુરુ છે. શિષ્યોની 'છટણી' કરવા માટે પોતાના આશ્રમની પાછળના ભાગમાં આવેલ તળાવના કિનારે એ બેસી જતા. બે-ચાર શરાબની પ્યાલી હોય, એક સુરાહી હોય અને ઘૂંઘટમાં મોં છૂપાવીને બેઠેલી એક સ્ત્રી હોય, નવા નવા કે કાચા-પોચા શિષ્યો તો આવું દ્રષ્ય જોઈ એક-બે દિવસમાં જ ભાગી જતા. ઊંડાણમાં ઊતરીને ગુરુની સમાધિની સુવાસ સુધી પહોંચવાની ભાગ્યે જ કોઈને ઈચ્છા થતી.
ગુરુ જુન્નેદ આટલા હલકા અને ભ્રષ્ટ છે, એની વાતો કેટલાક શિષ્યોમાં ચાલ્યા જ કરતી. એક રાજા પણ જુન્નેદનો શિષ્ય થયેલો. બીજા એક 'અનુભવી' શિષ્યે આ રાજા પાસે જઈને કાનભંભેરણી કરી કે મેં સગી આંખે જુન્નેદને શરાબ પીતા અને છૂપી રીતે કોઈ સ્ત્રીની સાથે બેઠેલા જોયા. તમે નાહક આવા ભ્રષ્ટ ગુરુની જાળમાં ફસાયા છો. આવા નાલાયક માણસને ખુલ્લો પાડવા માટે તમે કશુંક કરો.
રાજા તો આ વાત જાણીને તરત ઊભો થઈ ગયો. મ્યાનમાંથી તલવાર કાઢીને બોલી પડયો કે જો આ વાત સાચી હોય તો હું મારા હાથથી જ એ દુષ્ટનું માથું વાઢી નાખીશ પણ એ માટે તારે મને પ્રત્યક્ષ પુરાવો આપવો પડશે. નહીં તો હું તારુંય માથું વાઢી નાખીશ.
બન્ને જણ ઘોડા પર સવાર થઈને આશ્રમની પાછળના ભાગમાં આવેલ તળાવના કિનારે ગયા. છૂપાઈને જોવા લાગ્યા તો ખરેખર જુન્નેદ એક બુરખાધારી સ્ત્રીના હાથમાંથી પ્યાલી લઈને શરાબ ઢીંચતો હતો અને સ્ત્રી આગ્રહ કરી કરીને સુરાહીમાંથી શરાબ ખાલી થયેલી પ્યાલીમાં નાખતી હતી. રાજાએ પેલા શિષ્યને કહ્યું કે હવે તું જા. આનાથી વધારે પ્રમાણની મારે કોઈ જરૃર નથી. હમણાં જ હું જઈને આવા ઢોંગી ગુરુનું માથું ધડથી અલગ કરી નાખું છું. ઘોડા પરથી ઊતરી હાથમાં તલવાર લઈ એ આગળ વધ્યો. પણ થોડાક ડગલા ચાલ્યા પછી એને થયું કે શા માટે મારે જાતે જ આ કામ કરવું? આ કામ તો મારા સૈનિકો પણ કરી શકે છે. આવા વિચાર સાથે એ પાછો ફરતો હતો ત્યાં જુન્નેદે અવાજ કરીને કહ્યું કે, 'અટકી જાવ મહારાજ! અહીં સુધી આવ્યા છો તો કામ પૂરું કરીને જ જાવ.' જુન્નેદ જેવા માણસની આજ્ઞાાનું ઉલ્લંઘન તો પેલા રાજાથી પણ ન થયું. એ નજીક ગયો. જુન્નેદે સુરાહી એના હાથમાં આપી. રાજાએ એની અંદર જોયું તો શરાબના બદલે ચોખ્ખું પાણી જ હતું. રાજા છોભીલો પડી ગયો. જુન્નેદે પેલી સ્ત્રીના ચહેરા પરથી બુરખો ખોલ્યો તો એ સ્ત્રી સ્વયં જુન્નેદની માતા હતી! કાપો તો પણ લોહી ન નીકળે એવી પેલા રાજાની સ્થિતિ થઈ. પગમાં પડી રાજાએ જુન્નેદને પૂછયું ઃ 'શા માટે તમે આવું બદનામી કરે એવું નાટક ખેલો છો?'
જુન્નેદે કહ્યું ઃ 'જેમની નજર શિષ્ય થવા છતાં ક્ષુદ્ર પર અટકી છે તેમને ઢંઢોળવા જ મારે આ કામ કરવું પડે છે. જે લોકો દૂરદૂરથી આ દ્રશ્ય જોઈને જ ભાગી જાય છે અને એને હું જવા દઉં છું.
પણ જો કોઈ વીરલો સત્ય હકીકત જાણવાનું સાહસ કરે છે એને હું સાચી વાતથી વાકેફ કરું છું. પણ જે દૂરથી જોઈને ભાગી જાય છે, કોઈ બીજાની વાત માની લઈને સ્વીકારી લે છે તેવા લોકો પર કામ કરીને હું મારો સમય બરબાદ કરવા નથી ઈચ્છતો. અને એક વાત સ્પષ્ટ રીતે સમજી લેજો કે જે ગુરુ તમારી ઈચ્છાઓને અનુસરે છે, તેમને રાજી રાખવા માટે જેમ તમે ઈચ્છો તેમ કરે છે તે ધૂર્ત છે. એની પાસે સાચું જ્ઞાાન કે સાહસ પણ નથી, તમારા આદર કે અનાદરની પરવા કર્યા વિના જે તમને બદલવા માટે તૈયાર છે તે તમારી ઈચ્છા અનુસાર નહીં જીવે. તમને રાજી રાખવા માટે તમે ઈચ્છો તેવું વર્તન નહીં કરે. કદાચ એ તમારા સંશયને બહાર લાવવા માટે જ અનેક પ્રકારના આયોજન કરશે. જેથી તમને તમારી શ્રદ્ધા કેટલી છીછરી છે તેનો ખ્યાલ આપી શકે. જે માણસ તમારી અપેક્ષા અનુસાર નથી જીવતો તેની પાછળ ચાલવું ખૂબ કઠિન, લગભગ તો અશક્ય છે. આમ છતાં જે આવા ગુરુની પાછળ ચાલવા તૈયાર છે તે જ અધ્યાત્મના જગતમાં પ્રવેશવાને લાયક છે.'
ક્રાન્તિબીજ
તરફડાટ એટલે?
તમે કહેશો, જળ બહાર આણેલા કોઈ મીનને પૂછી જુઓ.
પણ ઘૂઘવતા ઉદધિની ભીતર જે કોરું કોરું તરફડે એને તમે શું કહેશો?
- પન્ના નાયક

0 comments: