સોક્રેટીસે એથેન્સના એ મોટા ધનપતિને દુનિયાનો નકશો શા માટે બતાવ્યો?
અધ્યાત્મના જગતમાં સોક્રેટીસનું નામ એક ઝગમગતા તારાની જેમ અંકિત થયું છે. દૂરથી નાના અને શીતળ લાગતા હોવા છતાં પણ આવા ટમટમતા તારલા વાસ્તવમાં એક મહાસૂર્ય હોય છે. યૂનાન (ગ્રીક)ના આકાશમાં ઊગેલા આ મહાસૂર્યે અનેક લોકોની ઊંઘ હરામ કરી દીધેલી કેમ કે કોઈને સારું લાગે કે ખરાબ, પણ પોતાને જે સાચું લાગે તે જ એ કહેતા.
એકવાર 'એથેન્સ'નો એક મોટો ધનપતિ એમને મળવા આવ્યો. મહાશ્રેષ્ઠી હોવાથી એના મનમાં અક્કડનો પાર ન હતો. રસ્તા પરથી પસાર થતો હોય તો એની ઇચ્છા એવી જ રહેતી કે બધાનું ધ્યાન એના તરફ વધુ ને વધુ ખેંચાય. એ માટે તે જુદા જુદા પ્રયત્નો પણ કરતો. લોકો સાથે વાત કરતો હોય ત્યારે પણ પોતે 'કંઈક' છે તેવા ભાવ સાથે જ કરતો. જગતમાં ભાગ્યે જ કોઈ એવો ધનપતિ હશે જેના મનમાં આવી કોઈ 'એંટ' ન હોય. સોક્રેટીસની પારદર્શી આંખે આ માણસના અહંને જોઈ લીધો. પ્રેમભર્યો આવકાર આપી ઔપચારિક વાતો પછી થોડીવાર બેસવાનું કહ્યું. પોતે હમણાં જ આવે છે એમ કહી તે અંદર બીજા એક રૃમમાં ગયા અને દુનિયાનો નકશો લાવી પેલા ધનપતિ સામે મૂકી માત્ર એટલું જ પૂછ્યું, 'મને એ બતાવી શકશો કે આ નકશામાં યૂનાન (ગ્રીક) ક્યાં છે?' એક નાનકડી જગ્યા પર આંગળી મૂકી એણે દેશ તો બતાવી દીધો પણ એની સાથે સામે એક પ્રશ્ન પણ કર્યો કે આ રીતે પૂછવાનું પ્રયોજન શું છે? સોક્રેટીસ ચૂપ રહ્યા. પેલો ધનપતિ થોડો બેચેન તો થયો જ પણ એ બીજું કંઈ બોલે એ પહેલા સોક્રેટીસે ફરી પૂછ્યું, આપણા આ 'મહાન' યૂનાનમાં એથેન્સ ક્યાં છે? માત્ર એક નાનકડું બિન્દુ જ ત્યાં હતું. પણ પેલા ધનપતિથી રહેવાયું નહીં. એણે ફરી કહ્યું, 'પણ તમે આ બધું શા માટે પૂછો છો?' સોક્રેટીસે કહ્યું, 'બસ, હવે માત્ર એક જ પ્રશ્ન. એથેન્સમાં તમારો મહેલ ક્યાં છે?' ટપકા જેવડા એથેન્સમાં આંગળી મૂકીને કેવી રીતે બતાવે કે આ જગ્યાએ મારો મહેલ છે!
સોક્રેટીસે કહ્યું, 'આવ્યા છો તો મનમાંથી અક્કડ છોડો. થોડીવાર શાંતિથી બેસો. કેમ કે આ વિરાટ વિશ્વમાં આપણે ગમે તેટલા મોટા દેખાતા હોઈએ છતાં આપણી હેસિયત કશી જ નથી. અને આ પૃથ્વીનો નકશો જ કંઈ બધું નથી. પૃથ્વી તો આ વિરાટ બ્રહ્માંડમાં એક રેતીના કણ જેવડી પણ નથી. કોઈ અફાટ રણમાં નાનો એક રેતીનો કણ ઉઠાવીએ તો પણ એ મોટો ગણાય એવડી આ વિરાટ બ્રહ્માંડની અપેક્ષા એ આપણી પૃથ્વી છે! પૃથ્વીથી ત્રીસ લાખ ગણો આપણો આ સૂર્ય છે અને બ્રહ્માંડમાં બીજા જે મહાસૂર્ય છે તેની સામે આપણો આ સૂર્ય તો નાનકડું બચ્ચું છે.'
ઓશો આ પ્રસંગના અનુસંધાનમાં કહે છે, વૈજ્ઞાાનિકો પાસે જે થોડા સાધનો છે તેના દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ બ્રહ્માંડમાં ચાર અબજ સૂર્ય છે. અને આ ચાર અબજ સૂર્યને પોતપોતાની પૃથ્વીઓ પણ હશે જ. કેમ કે તર્કની દ્રષ્ટિએ પણ એ ગળે ઉતરે એવી વાત નથી કે આ વિરાટ બ્રહ્માંડમાં એક માત્ર આપણી પૃથ્વી જ એવી હોય કે જેના પર જીવન શક્ય બન્યું. વૈજ્ઞાાનિકો કહે છે, આ બ્રહ્માંડનો કોઈ પાર નથી. એ રોજ રોજ દ્ધર્રૃં। મોટું થતું જાય છે. જેટલું પકડમાં આવી શક્યું છે તેનાથી અનેક ગણું બીજું હોવાની શક્યતા છે. તો આ ચાર અબજ સૂર્યને સામે રાખીને વિચારીએ તો ઓછામાં ઓછી પચાસ હજાર પૃથ્વી પર જીવન હોવું જોઈએ. જેમ જેમ અમારા દૂરબીન આધુનિક અને અશક્ત થતાં જાય છે તેમ તેમ વિસ્તાર વધતો જ જાય છે. આ બ્રહ્માંડ કેવડું હશે એની અમને ખરેખર ખબર નથી. કેમ કે આજે જે કહીએ છીએ તે કાલે ખોટું પડે છે. અથવા તો બદલાઈ જાય છે. વિશ્વની સીમાઓ રોજેરોજ વધતી જ જાય છે. આપણા આર્ષદ્રષ્ટા ઋષિઓ યુગો યુગોથી કહેતા આવ્યા છે કે અસ્તિત્વ 'અસીમ' છે.
સોક્રેટીસની જેમ ઓશો પણ આપણને સૌને પૂછે છે, 'તમે આ વિરાટ બ્રહ્માંડમાં ક્યાં છો? એક આ દોઢ કિલોની ખોપરીના કારણે જ માણસને એમ લાગે છે કે આ વિરાટ બ્રહ્માંડનું હું કેન્દ્ર છું. મારા કારણે જ આ બધું ચાલે છે. અને હું કંઈક 'વિશેષ' છું. બાકી થોડી કેય સમજ આવે તો અસ્તિત્વના આ મહાસાગરમાં પોતાની અલગ પડેલી 'બુંદ' ભેળવી દઈને અથવા તો પોતાના આ ક્ષુદ્ર અહંકારને છોડીને જીવવું એ જ શ્રેષ્ઠ માર્ગ, એ જ એક માત્ર વિકલ્પ અને એ જ એકમાત્ર સત્ય છે. બાકી બધું જ ચિંતા, વિષાદ, દુઃખ અને વલોપાત વધારનારું છે.
ક્રાન્તિબીજ
જ્યારે પણ મનમાં મૂંઝવણ અનુભવો ત્યારે હૃદય જે ચીંધે એ માર્ગ પર ચાલો, છેવટે ત્યાં જ પહોંચશો જ્યાં તમારી ઇચ્છા હોય.
- જ્હોન એફ. કેનેડી

0 comments: